કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
લોહા કેરી નાવરી, પાહન ગરૂવા ભાર
સિર પર વિષકી મોટરી, ઉતરન ચાહૈ પાર !
એક તો નાવ લોઢાની છે અને તેમાં મોટા મોટા પથ્થરોનો ભાર ભર્યો છે. એટલું જ નહિ પણ માથા પર ઝેરની પોટલી રાખીને આ જીવ સંસાર રૂપી સાગર પાર કરવા માંગે છે. કેવું આશ્ચર્ય ?
નોંધ : જીવ જેમ જેમ વયમાં મોટો થતો જાય છે તેમ તેમ તેની મનોકામના વધતી જાય છે. ઈચ્છાઓ પર નિયંત્રણ ન હોવાને કારણે પાછલી વયમાં તે ખૂબ દુઃખી બની જાય છે. તેનું શરીર પણ તેની ઈચ્છા પ્રમાણે હાલી ચાલી શકતું નથી. ઈન્દ્રિયો પણ પોતાની શક્તિ ગુમાવી દે છે. પરિણામે તે જીવ આત્મકલ્યાણનું કાર્ય સ્હેજ પણ કરી શકતો નથી. અભિમાનમાં પથ્થરો તો છેલ્લી ઘડી સુધી રહે છે. જુદા જુદા વિષયોની ઈચ્છા પણ અંતિમ ઘડી સુધી અતૃપ્ત જ રહે છે. તેવો જીવ કેવી રીતે નિરાંતે પણ મરે ? તે તો ડૂબી જ જાય છે !