કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મુખ કી મીઠી જો કહૈ, હૃદયા હૈ મતિ આન
કહં હિ કબીર તા લોગ સે, તૈસહિં રામ સયાન
મોઢેથી મીઠી વાણી બોલવાવાળા હૃદયમાં કપટ રાખીને વાત કરતા હોય છે. કબીર કહે છે કે તેવા લોકોને માટે ભગવાન પણ ચતુર છે.
નોંધ : અર્થાત્ ઢોંગી લોકો જગતમાં અન્યને છેતરી શકે છે પણ ભગવાનને છેતરી શકતા નથી. ભગવાન તો જેવું જેનું કર્મ તેવું ફળ આપે છે.
આધ્યાત્મિક માર્ગમાં પણ બનાવટી સંતો ક્યાં ઓછા છે ? માત્ર વેશ બદલીને ગુરુ થઈ બેસનારાની સંખ્યા ઘણી મોટી છે. સમયની સરાણ પણ તેમની કસોટી થઈ જતી હોય છે. સૃષ્ટિનું સંચાલન કરનારી શક્તિ તેવાઓને ઉઘાડા પાડી દે છે. જે ખરેખર સુવર્ણ સમાન છે તે સુવર્ણ રૂપે પ્રસિદ્ધ થાય છે ને જે પિત્તળ સ્વરૂપ છે તે પિત્તળ તરીકે પરખાઈ આવે છે તેથી વારંવાર કબીર સાહેબ કહે છે કે
કબીર કરની આપની, કબહુ ન નિષ્ફળ જાય
સાત સમુંદ આડા પરૈ, તો ભી મિલસી આય.
હે જીવ, તારું કર્મ કદી નિષ્ફળ જતું નથી. કે જેવું કર્મ તેવું ફળ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે. સાતે સમુદ્ર વચ્ચે આવીને આડા ઊભા રહે તો પણ કર્મની ગતિને કોઈ રોકી શકતું નથી. ગમે તે સ્વરૂપે તે તો આવીને ઊભું જ રહે છે.