કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તબ લગિ તારા જગમગૈં, જબ લગિ ઉગૈ ન ૧સૂર
તબ લગિ જીવ ૨કરમવશ ડોલૈ, જબ લગિ ૩જ્ઞાન ન ૪પૂર
૧ = સૂર્ય, ૨ = કર્મ પ્રમાણે જીવે, ૩ = આત્મજ્ઞાન, ૪ = પૂર્ણ
જ્યાં લગી સૂર્યનો ઉદય થાય નહીં ત્યાં લગી અંધારી રાતમાં તારાઓ ઝગમગતા રહે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી કર્મ પ્રમાણે જીવ જગતમાં જીવ્યા કરે છે.
નોંધ : સૂર્યોદય થાય પછી ન તો અંધારું રહે છે કે ન તો તારાઓ ઝગમગે છે. તેવી રીતે આત્મજ્ઞાન થાય છે પછી નથી અજ્ઞાન રહેતું કે નથી કર્મના સંસ્કારો રહેતા. ગીતા કહે છે તે પ્રમાણે “જ્ઞાનાગ્નિદગ્ધ કર્મણિ” કર્મો જ્ઞાન રૂપી અગ્નિમાં બળી જાય છે. તેથી ત્યાર પછી તે ઊગતા નથી. બી અગ્નિમાં બાળીને રોપવામાં આવે તો કદી ઊગે નહિ.
Add comment