કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કરુ બહિયાં બલ આપની, છાંડ બિરાની આસ,
જાકે આંગન નદી બહૈ, સો કર મરે પિઆસ ?
પારકી આશા છોડીને પોતાનાં જ બાવડાંની શક્તિથી કામ કરો. જેના જીવનરૂપી આંગણામાં આત્મશક્તિની નદી વહ્યા કરતી હોય તે કેવી રીતે તરસ્યો મરે ?
નોંધ : કબીર સાહેબે શરીરમાં રહેલા આત્માને ઓળખવા માટે સાધકને ખાસ પ્રોત્સાહન આપ્યુ છે. કષ્ટપ્રદ માર્ગથી ડરવું નહીં પણ પરમાત્માએ આ શરીરમાં જે સાધનો આપ્યા છે તનો સહારો લેવો જોઈએ. ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્મા એ પાંચ સાધનોનો સમુચિત ઉપયોગ કરતાં શીખવું જોઈએ. ગીતાના ત્રીજા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઉપનિષદમાં કહ્યું છે કે आत्म वै गुरु: | આત્મા એ જ ગુરુ છે. સાધક પ્રભુને માર્ગે આગળ વધે તે માટે આ સાખીમાં સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
Add comment