Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સુન્ન સરોવર મીન મન, નીર તીર સબ દેવ
સુધા સિંધુ સુખ બિલસહી, બિરલા જાને ભેવ

શૂન્ય રૂપી સરોવરમાં મન રૂપી માછલું અમૃતનાં મહાસાગરમાં મહાલવાનું પરમ સુખ અનુભવી રહ્યું છે. એનાં નીરને તીરે બધા જ દેવોનો વાસ છે. આનું રહસ્ય બહુ થોડા માણસો જાણે છે.

નોંધ :  મનના માધ્યમથી જ તમામ પ્રકારનાં સુખો અનુભવી શકાય છે. વિષય ભોગોના ક્ષણિક સુખને માણવું હોય તો પણ મન ભિન્ન ભિન્ન પ્રકારની યોજનાઓ ઘડે છે ને તેનો અમલ પણ કરે છે. ક્ષણિક સુખની પ્રાપ્તિમાં મન થાકનો અનુભવ પણ કરે છે પરમ સુખ કે જે કદિ પણ નારા પામતું જ નથી તેની પ્રાપ્તિ કરવી હોય પણ મનને તૈયાર કરવું જ પડે. મનને લગની લાગે તો જ પ્રાપ્ત કરવા તે ઉતાવળું બને છે. ટૂંકમાં, મન દ્વારા જ પરમ સુખને પણ માણી શકાય છે. આ સાખીમાં ‘શૂન્ય સરોવર’ શબ્દ દ્વારા મનની ઊંચી અવસ્થાનો આપણને ખ્યાલ આપે છે. આત્મભાવ સિવાય બીજો ભાવ મનમાં ન રહે ત્યારે જાણવું કે મન ‘શૂન્ય સરોવર’માં સ્થિર બન્યું છે. મનમાં અનેક ઈચ્છાઓ હોય છે ને તેથી અનેક ભાવો પણ હોય છે. એ બધું મનમાંથી જતું રહે ને માત્ર પરમાત્માનો જ ખ્યાલ રહે તે મનની ઊંચી અવસ્થા. એ અવસ્થામાં આત્મસાક્ષાત્કાર થાય છે. આત્માને અમૃતનો મહાસાગર કહી કબીર સાહેબે આપણને આત્મભાવમાં મન નિમગ્ન બને તો જ પરમ સુખની પ્રાપ્તિ થાય છે એવું માર્ગદર્શન કરાવ્યું છે. સર્વ દેવોનાં દર્શન પણ તે જ અવસ્થામાં થઈ શકે છે. આ પ્રકારે કબીર સાહેબે મનનું રહસ્ય આપણને સમજાવ્યું છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,618
pdf-1અનંત સૂર | Anant Soor 10,256
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,235
pdf-3Amar Varso | અમર વારસો 7,912
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,954