કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ભક્તિ પ્યારી રામકી, જૈસી પ્યારી આગ
સારા પટ્ટન જરી મુવા, બહુરિ લે આવે માંગ !
જે સાચો ભક્ત છે તેને ભક્તિ પ્યારી લાગે છે. દરેકને આગ પ્યારી હોય છે. આગથી આખું શહેર બળીને ભસ્મ થઈ જાય તો યે તે આગ માંગીને લાવીને ચૂલો તો સળગાવવો જ પડે છે તેમ ભક્તિ વિના કોઈને ચાલતું નથી.
નોંધ : ભક્તિ સરળ સાધન છે છતાં તેને કબીર સાહેબ આગ સાથે સરખાવે છે. આગથી તો લોકો ડરે. કારણ કે આગની એક જ ચિનગારી આખા શહેરને બાળી મૂકે છે છતાં તે આગની ચિનગારી વિના ચૂલો પણ સળગતો નથી. ચૂલો સળગે તો જ પેટનો ખાડો પૂરાય જીવવા માટે આમ આગનું સાધન અનિવાર્ય છે. એટલું જ નહી સુગમ પણ છે. તેજ રીતે ભક્તિનું સાધન પ્રભુનાં દર્શન માટે અનિવાર્ય છે અને સરળ પણ છે. જે કઠીન કાર્ય છે તે તો મનને પાધરું કરવામાં છે. તે કારણે આકરી તપશ્ચર્યા કરવી પડે છે ને શરીરને સંકટો સહન કરવા પડે છે.