કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા અપને જીવ તેં યે દો બાતેં ધોય
માન બડાઈ કારને, આછત મૂલ ન હોય
કબીર કહે છે કે દરેકે પોતાના જીવનમાંથી માન અને મોટાઇ બંનેને દૂર કરવાં જોઇએ. એ બેને કારણે માણસાઇનું મૂળ ધન જીવ ગુમાવી બેસે છે.
નોંધ : ‘આછત’ શબ્દ અહીં ઘણું કહી જાય છે. અછત એટલે અભાવ ને આછત એટલે જેનો અભાવ નથી તે. પરમાત્માએ મનુષ્ય તરીકે જન્મ આપ્યો ત્યારે મૂળ ધન એટલે આત્માનું મૂળ ધન સહુ કોઇને આપ્યું હોય છે. આત્માનું મૂળ ધન માણસાઇની ખીલવણી દ્વારા પ્રગટ થાય છે. પડોશી આર્થિક ભીંસમાં પોતાના બાળકોની સારવાર ન કરી શકતો હોય ને બાજુમાં માત્ર સમૃદ્ધિ ઉછળ્યા કરતી હોય તો માણસાઇ ક્યાં રહી ! માનવતાની ખીલવણી મનમાં માન ને મોટાઈ હોય ત્યાં સુધી થઇ શકતી નથી.
Add comment