કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પહેલે યહ મન કાગ થા, કરતા જીવન ઘાત,
અબ તો મન હંસા ભયા, મોતી ચુંગિ ચુંગિ ખાત.
પહેલા તો મન કાગડા જેવું હતું ને જીવહિંસા પણ કરતું. હવે તો એ મન હંસ જેવું થઈ ગયું છે તેથી વીણી વીણીને મોતીનો ચારો જ ચરે છે.
નોંધ : સાધનાની શરૂઆતમાં મન કાગડા જેવું હોય છે. એટલે કે તામસિક હોય છે. સ્વાર્થમાં રત હોય છે. સ્વાર્થ સાધવા તે જીવહિંસા પણ કરે છે. એ મન જેમ જેમ સાધનામાં રત રહે છે તેમ તેમ તેમાં પરિવર્તન થતું રહે છે. તેનામાં રહેલા તામસિક ભાવોને બદલે સાત્વિક ભાવોનાં ઝરણાંઓ ફૂટી નિકલે છે. ધીમે ધીમે મન સત્વમાં સ્થિર બનતું જાય છે. એવા મનને કબીર સાહેબ હંસ સાથે સરખાવે છે. મોતીનો ચારો એટલે પરમ તત્વરૂપી મોતીનો ચારો. તેવું મન પરમ તત્વની રટણમાં જ લીન રહે છે.
Add comment