Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અબધૂ વો તત્તુ રાવલ રાતા, નાચૈ બાજન બાજુ બરાતા  - ૧

મૌર કે માથે દુલ્હા કીન્હો, અકથા જોરિ કહાતા
મંડપે કે ચારન સમધી દીન્હા, પુત્ર વિવાહલ માતા  - ૨

દુલહિનિ લીપિ ચૌક બેઠાયો, નિરભય પદ પરગાસા
ભાતે ઉલટિ બરાતહિ ખાયો, ભલી  બની કુસલતા  - ૩

પાની ગ્રહન ભયે ભૌ મંડન, સુષમનિ સુરતિ સમાની
કહંહિ કબીર સુનહુ હો સંતો, બૂઝહુ પંડિત જ્ઞાની  - ૪

સમજૂતી

હે અવધૂત, જીવ રૂપી રાજા તો તે (પદાર્થ વિષયોના) અનાત્મ તત્વમાં લીન બની ગયો છે. તેથી (ઉલટી પરિસ્થિતિ નિર્માણ થઈ) વાજા નાચવા લાગ્યા અને જાનૈયાઓ વાગવા લાગ્યા !  - ૧

મુગટના માથા પર વરરાજાને બેસાડી દીધો અને જે અકથા છે તેને કથાનું રૂપ આપી કહેવા લાગ્યા !  મંડપના ભાર તરીકે સમધીને બેસાડી દીધો અને ખુદ પુત્રએ પોતાની માતા સાથે વિવાહ કરી લીધો !  - ૨

અવિદ્યા રૂપી સ્ત્રીનો વાસનાથી આચ્છાદિત કરી અંતઃકરણ રૂપી ચોકમાં બેસાડી દીધી અને પોતાની જાતને નિર્ભય સમજવા લાગી. ભાતે જાનૈયાને ખાય લીધા તે જુઓ કેવી સરસ કુશળતાની ઘટના બની !  - ૩

કબીર કહે છે કે પાણિગ્રહણ કરવાથી સંસારનું મંડન થાય છે અને સુષમણા સુરતિમાં સમાઈ જાય છે. તેથી હે જ્ઞાનીઓ સાંભળો અને હે જ્ઞાની પંડિતો બરાબર વિચારી લો !  - ૪

ટિપ્પણી

“વો તત્તુ રાવલ રાતા” - વો એટલે વિષય વાસનાનું સુખ કે જે જીવ સદા પામવાને ઝંખે છે. ખરેખર આત્મકલ્યાણનો માર્ગ ન ગણાય છતાં એ આત્મ કલ્યાણનો જ માર્ગ છે એમ માનીને હઠયોગી સાધના કરે તો તે માયા સાથે જ વિવાહ જોડી દેતો હોય છે.

“પાનીગ્રહન ભયે .... સમાની” - પરિણામે તે અજ્ઞાની હઠયોગીનું ધ્યાન સુષુમ્ણામાં જ લાગેલું રહે છે, પોતાના સ્વરૂપમાં નહીં. તેથી સંસારનું જ મંડન થયા કરે છે. વિષય વાસનાને જ પોત્સાહન મળ્યા કરે છે અને છેવટે પરમસુખથી તે વંચિત રહી જાય છે. વિષય ભોગો જ તેને ખાય જાય છે. ભર્તુહરિ કહે છે તેમ ભોગા ન ભુક્તા વયમેવ ભુકતા જેવી દશ થઈ જાય છે. તેથી જાગૃત સાધકો જ પોતાના બુદ્ધિના બળે યુક્તિપૂર્વક સંસાર સાગરને પાર કરી જવા મથે છે.

અપાર સંસાર સમુદ્રપાતી લબ્ધ્વા પરાં યુક્તિમુદારસ્તવ: |
ન શોક માયાતિ ન દૈન્યમેતિ ગતજવરસ્તિષ્ઠતિ નિત્યતૃપ્ત: || (યોગવા પ્ર-૨/૩)

અર્થાત્ અપાર સંસાર સમુદ્રમાં ઉદાર બુદ્ધિશાળી સાધક જ ઉત્તમ પ્રકારની યુક્તિપ્રયુક્તિઓ વડે દુઃખ ને દીનતાથી દૂર રહી સદૈવ શાંતિથી તૃપ્ત રહે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,797
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,465
pdf-2અનંત સૂર | Anant Soor 9,044
pdf-3Amar Varso | અમર વારસો 7,354
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,704