કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ખસમ બિના તેલીકો બૈલ ભયો
બૈઠત નાહિ સાધુકી સંગતિ, નાધે જનમ ગયો ! - ૧
બહિ બહિ મરહુ પચહુ નિજ સ્વારથ, જળ કો દંડ સહ્યો
ધન દારા સુત રાજકાજ હિત, માથે ભાર ગહ્યો - ૨
ખસમહિ છાંડિ વિષય રંગ રાતે, પાપકે બીજ બયો
જૂઠી મુક્તિ નર આસ જીવનકી, ઉન્હ પ્રેતકો જૂઠ ખયો - ૩
લખ ચૌરાસી જીવ જંતુમેં, સાયર જાત બહ્યો
કહંહિ કબીર સુનહુ હો સંતો, ઉન સ્વાનકો પૂંછ ગહ્યો - ૪
સમજૂતી
આત્મા રૂપી સ્વામીના પરિચય વિના હે જીવ, તારી દશા ઘાણીના બળદ જેવી થઈ છે ! સાધુની સંગતિમાં કદી બેઠો નહીં તેથી ગોળ ગોળ ફર્યાં કરવામાં જ તારો જન્મારો પૂરો થાય છે ! - ૧
પોતાના સ્વાર્થમાં કમરતોડ મહેનત કરી દુઃખી થઈને વારંવાર મર્યા કરે છે અને યમરાજનો દંડ ભર્યા કરે છે ! સ્ત્રી, સંપત્તિ, પુત્રો અને રાજ કારભારના પ્રપંચોનો ભાર પોતાને માથે લઈને દુઃખી થતો રહે છે ! - ૨
આત્મા રૂપી સ્વામીની પ્રીતને બદલે તું વિષયોની પ્રીતમાં ઉન્મત્ત બને છે ને ખરાબ કાર્યોનાં બીજ અવિવેકી થઈને વાવ્યા કરે છે. સ્વર્ગમાં મુક્તિ મળશે એવી ખોટી આશામાં મનુષ્ય જીવનને વેડફી દે છે અને મર્યા પછી પ્રેતભોજનના ઉત્સવમાં પ્રેતનું એઠું અન્ન ખાયા કરે છે. - ૩
ચોર્યાસી લાખ યોનિઓ રૂપી સમુદ્રમાં અનેક જીવજંતુ વહી રહ્યા છે. કબીર કહે છે કે હે સંતો સાંભળો, મૂઢ મનુષ્ય તો માત્ર કૂતરાની પૂછડી પકડી આખો સમુદ્ર તરી જવા માંગે છે ! - ૪
Add comment